પાતાળેશ્વર મહાદેવ મંદિર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા પાલનપુર શહેર ખાતે આવેલ એક ઐતિહાસિક શિવ મંદિર છે. શહેરમાં આવેલા કીર્તિસ્તંભની બાજુમાં આવેલ પાતાળેશ્વર મહાદેવનું મંદિર ગુર્જર સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહના જન્મસ્થળ તરીકે પ્રખ્યાત છે. પરંતુ તેનું વિશેષ મહત્વ પાતાળમાંથી સ્વયંભુ પ્રગટ થયેલ ચમત્કારિક શિવલીંગને કારણે છે. ઈ.સ. ૧૧૫૦માં પાલનપુર ખાતે આરામ લેતી વેળા ગર્ભવતી રાણી મિનળદેવીની કુખે તેજસ્વી બાળકનો જન્મ થયો હતો. જે મોટો થતાં સિદ્ધરાજ જયસિંહ તરીકે પ્રસિદ્ધ થયો હતો. પુત્ર જન્મની ખુશાલીમાં માતા મિનળદેવીએ આ સ્થળે એક વાવ ખોદાવવાની શરૂ કરી. ખોદકામ દરમ્યાન પાતાળમાંથી સ્વયંભુ શિવલીંગ પ્રગટ થતાં મીનળદેવીએ તે સ્થળે મંદિર બાંધવાનો નિર્ણય કર્યો હતો. આ મંદિરની રચના પાતાળ જેવી હોવાને લીધે તેનું નામ પાતાળેશ્વર મહાદેવ રાખવામાં આવ્યું હતું. પાલનપુરના ઇતિહાસમાં અને કીર્તિસ્તંભ ઉપરના શિલાલેખમાં પણ આ જગ્યા સિદ્ધરાજ જયસિંહનું જન્મસ્થળ હોવાનો ઉલ્લેખ છે. આજે પણ શ્રદ્ધાળુઓ દુર-દુરથી ખાસ કરીને શ્રાવણ માસ દરમિયાન આ શિવાલયના દર્શન માટે આવે છે.